يس
Ya-Sin • 83 ayahs • Meccan
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
1૧. યાસીન્ [1]
2૨. હિકમતવાળા કુરઆનની કસમ!
3૩. નિ:શંક તમે પયગંબરો માંથી એક પયગંબર છો.
4૪. સત્ય માર્ગ પર છો.
5૫. આ કુરઆન તે હસ્તી તરફથી ઉતારવામાં આવ્યું છે, જે ઝબરદસ્ત અને અત્યંત દયાળુ છે.
6૬. જેથી તમે એવા લોકોને સચેત કરો, જેમના પૂર્વજોને સચેત કરવામાં નહતા આવ્યા, જેથી તેઓ ગફલતમાં પડેલા છે.
7૭. તેમાંથી વધારે પડતા લોકો માટે વાત નક્કી થઇ ગઈ છે કે તેઓ ઈમાન નહીં લાવે.
8૮. અમે તેમના ગળામાં તોક નાંખી દીધા છે, જે હડપચી સુધી પહોચી ગયા છે, જેના કારણે તેઓ માથું ઉચું કરી ફરે છે.
9૯. અને અમે એક પાળ તેમની સામે બનાવી દીધી અને એક પાળ તેમની પાછળ, (આવે રીતે) અમે તેમના પર પરદો કરી રાખ્યો છે, જેથી તેઓ જોઇ નથી શકતા.
10૧૦. તમે તે લોકોને સચેત કરો અથવા ન કરો બન્ને બરાબર છે, આ લોકો ઈમાન નહીં લાવે.
11૧૧. બસ! તમે ફક્ત તે જ વ્યક્તિને ડરાવી શકો છો, જે શિખામણ પ્રાપ્ત કરે અને રહમાન (અલ્લાહ) થી વિણદેખે ડરતો હોય, તમે તેને માફી અને ઇજજતવાળા વળતરની ખુશખબર આપી દો.
12૧૨. નિ:શંક અમે મૃતકોને જીવિત કરીશું અને અમે તે કાર્યો પણ લખીએ છીએ, જેને તે લોકો આગળ મોકલે છે અને તેમના તે કાર્યો પણ, જેને તે લોકો પાછળ છોડે છે અને અમે દરેક વસ્તુને એક સ્પષ્ટ કિતાબમાં લખી રાખ્યું છે.
13૧૩. (હે પયગંબર) તમે તે લોકો સામે એક વસ્તીવાળાઓનું ઉદાહરણ વર્ણન કરો, જ્યારે તે વસ્તીમાં પયગંબરો આવ્યા હતા.
14૧૪. જ્યારે અમે તેમની પાસે બે રસૂલ મોકલ્યા, પરંતુ તે લોકોએ બન્નેને જુઠલાવ્યા, પછી અમે ત્રીજા પયગંબર દ્વારા સમર્થન કર્યું, ત્રણેય લોકોએ કહ્યું કે અમે તમારી પાસે (પયગંબર બનાવી) મોકલવામાં આવ્યા છે.
15૧૫. તે લોકોએ કહ્યું કે તમે અમારા જેવા સામાન્ય વ્યક્તિ છો અને અલ્લાહએ કોઇ વસ્તુ ઉતારી નથી, તમે ખુલ્લું જુઠ બોલી રહ્યા છો.
16૧૬. તે (પયગંબરોએ) કહ્યું અમારો પાલનહાર જાણે છે કે નિ:શંક અમે તમારી તરફ રસૂલ બનાવી મોકલવામાં આવ્યા છે.
17૧૭. અને અમારી જવાબદારી તો ફક્ત સ્પષ્ટ રીતે પહોંચાડી દેવાની છે.
18૧૮. તે લોકોએ કહ્યું કે અમે તો તમને અપશુકનિ સમજીએ છીએ, જો તમે છેટા ન રહ્યા તો અમે પથ્થરો વડે તમને નષ્ટ કરી દઇશું અને તમને અમારા તરફથી સખત તકલીફ પહોંચશે.
19૧૯. તે પયગંબરોએ કહ્યું કે તમારું અપશુકન તમારી પાસે જ છે, જો તમને શિખામણ આપવામાં આવે તો શું તમે તેને અપશુકન સમજો છો? પરંતુ તમે તો હદવટાવી જનાર લોકો છો.
20૨૦. તે સમયે એક વ્યક્તિ શહેરના છેલ્લા છેડેથી દોડતો આવ્યો, કહેવા લાગ્યો કે હે મારી કોમના લોકો! આ પયગંબરોનો માર્ગ અપનાવી લો.
21૨૧. એવા પયગંબરોના માર્ગ પર, જેઓ તમારી પાસે કોઇ વળતર નથી માંગતા અને તેઓ સત્ય માર્ગ પર છે.
22૨૨. અને હું તેની બંદગી કેમ ન કરું, જેણે મારું સર્જન કર્યું અને તમે સૌ તેની જ તરફ પાછા ફેરવવામાં આવશો.
23૨૩. શું હું અલ્લાહને છોડીને એવા લોકોને ઇલાહ બનાવી લઉ, જો રહમાન (અલ્લાહ) મને કંઈ નુકસાન પહોંચાડવા ઇચ્છે, તો તેમની ભલામણ મને કંઈ ફાયદો નહીં પહોંચાડી શકે. અને ન તો તેઓ મને બચાવી શકશે?
24૨૪. (જો હું આવું કરું) તો પછી હું ખરેખર સ્પષ્ટ ગુમરાહ લોકો માંથી બની જઈશ.
25૨૫. મારી વાત સાંભળો! હું તમારા સૌના પાલનહાર ઉપર ઈમાન લાવી ચુક્યો.
26૨૬. (જ્યારે તેને કતલ કરી દેવામાં આવ્યો તો તેને અલ્લાહ તરફથી) કહેવામાં આવ્યું કે જન્નતમાં દાખલ થઇ જા, તે કહેવા લાગ્યો કે કાશ! મારી કોમ પણ જાણતી હોત..
27૨૭. કે મને મારા પાલનહારે માફ કરી દીધો અને મને ઇજજતવાળા લોકો માંથી કરી દીધો.
28૨૮. ત્યાર પછી અમે તેની કોમ પર આકાશ માંથી કોઇ લશ્કર ન ઉતાર્યુ અને ન તો અમને લશ્કર ઉતારવાની જરૂરત હતી.
29૨૯. તે તો ફક્ત એક સખત ચીસ હતી, જેથી તેઓ અચાનક હોલવાઈ ગયેલી (આગ) જેવા થઇ ગયા.
30૩૦. અફસોસ છે તે બંદાઓ પર કે તેમની પાસે જે કોઈ પયગંબર આવ્યા, તેઓ તેમનો મજાક જ કરતા રહ્યા.
31૩૧. શું તે લોકોએ જોયું નથી કે અમે તેમના પહેલા ઘણી કોમોને નષ્ટ કરી દીધી છે, કે તેઓ તેમની તરફ પાછા નહીં આવે.
32૩૨. (અને આ દરેક) એક દિવસે અમારી સમક્ષ હાજર કરવામાં આવશે.
33૩૩. અને તેમના માટે (નિષ્પ્રાણ) ધરતી (પણ) એક નિશાની છે, જેને અમે જીવિત કરી દીધી અને તેમાંથી અનાજ ઉગાડ્યું, જેમાંથી તેઓ ખાય છે.
34૩૪. અને અમે તેમાં ખજુરો અને દ્રાક્ષના બગીચા બનાવ્યા અને જેમાં અમે ઝરણાં પણ વહાવી દીધા છે.
35૩૫. જેથી (લોકો) તેના ફળો ખાય જો કે તેને તે લોકોના હાથોએ નથી બનાવ્યું, પછી આભાર કેમ માનતા નથી?
36૩૬. પવિત્ર છે તે હસ્તી, જેણે જમીનની ઉપજોમાં વિવિધ પ્રકારના જોડ બનાવ્યા, અને પોતાની અંદર પણ જોડા બનાવ્યા, અને એવી વસ્તુના પણ, જેને આ લોકો જાણતા પણ નથી.
37૩૭. અને તેમના માટે એક નિશાની રાત પણ છે, જેના દ્વારા અમે દિવસને ખેંચી લઇએ છીએ, જેથી તેઓ અચાનક અંધકારમાં જતા રહે છે.
38૩૮. અને સૂર્ય માટે જે નક્કી કરેલ સીમા છે, તે તેની ઉપર જ ચાલતો રહે છે, આ નક્કી કરેલ સીમાઓ છે, જે વિજયી અને જ્ઞાનવાળા અલ્લાહ તરફથી છે.
39૩૯. અને ચંદ્રની મંજિલો અમે નક્કી કરી છે, ત્યાં સુધી કે તે પાછો આવી જૂની (સૂકી) ડાળી જેવો થઇ જાય છે.
40૪૦. સૂર્ય, ચંદ્રને પકડી શકતો નથી અને ન તો રાત, દિવસ કરતા આગળ વધી શકે છે અને દરેક પોતાની સીમાઓ પર ફરે છે.
41૪૧. અને તે લોકો માટે એક નિશાની (આ પણ) છે કે અમે તેમની પેઢીને ભરેલી હોડીમાં મુસાફરી કરાવી.
42૪૨. અને તેમના માટે તેના જેવી જ બીજી વસ્તુઓ બનાવી જેના પર આ લોકો મુસાફરી કરે છે.
43૪૩. અને જો અમે ઇચ્છતા, તો તેમને ડુબાડી દેતા, પછી ન તો કોઇ તેમની ફરિયાદ કરવાવાળો હોત અને ન તે લોકોને બચાવવામાં આવતા.
44૪૪. પરંતુ અમે પોતાના તરફથી કૃપા કરીએ છીએ અને એક મુદ્દત સુધી તેમને ફાયદો પહોંચાડી રહ્યા છીએ.
45૪૫. અને તેમને જ્યારે કહેવામાં આવે છે કે તે પરિણામથી ડરો, જે તમારી સામે છે અથવા પાછળ થઇ ગયું છે, જેથી તમારા પર કૃપા કરવામાં આવે.(તો તેની તરફ કઈ ધ્યાન આપ્તા નથી)
46૪૬. અને જ્યારે તેમની પાસે તેમના પાલનહાર તરફથી નિશાનીઓ માંથી કોઇ નિશાની આવે છે તો તેઓ તેનાથી મોઢું ફેરવી લે છે.
47૪૭. અને જ્યારે તે લોકોને કહેવામાં આવે છે કે અલ્લાહએ આપેલ (ધન) માંથી (અલ્લાહના માર્ગમાં) ખર્ચ કરો, તો કાફિર ઈમાનવાળાઓને જવાબ આપે છે કે અમે તેમને કેમ ખવડાવીએ, અલ્લાહ ઇચ્છતો તો પોતે જ ખવડાવી દેતો, તમે સ્પષ્ટ રીતે ગુમરાહિમાં છો.
48૪૮. તેઓ કહે છે કે જો તમે સાચા હોય તો આ વચન (કયામત) ક્યારે પૂરું થશે?
49૪૯. તે લોકો તો ફક્ત એક સખત ચીસની રાહ જોઇ રહ્યા છીએ, જે ચીસ તેમને પકડી લેશે અને આ લોકો અંદરોઅંદર ઝઘડતા હશે.
50૫૦. તે સમયે ન તો આ લોકો વસિયત કરી શકશે અને ન પોતાના ઘરવાળાઓ તરફ પાછા આવી શક્શે.
51૫૧. અને (જ્યારે) સૂર ફૂંકવામાં આવશે તો દરેક પોતાની કબરો માંથી (ઉઠી) પોતાના પાલનહાર તરફ ચાલવા લાગશે.
52૫૨. કહેવા લાગશે, હાય અફસોસ! અમને અમારા સપનાના સ્થળેથી કોણે જગાડ્યા? આ તે જ વસ્તુ છે, જેનું વચન રહમાને આપ્યું હતું અને પયગંબરોએ સાચું કહી દીધું હતું.
53૫૩. આ એક ચીસ સિવાય કંઈ નથી, અચાનક દરેકે દરેક અમારી સમક્ષ હાજર કરી દેવામાં આવશે.
54૫૪. બસ! આજના દિવસે કોઇ વ્યક્તિ ઉપર, થોડોક પણ જુલમ કરવામાં નહીં આવે અને તમને તમારા કર્મોનો જ બદલો આપવામાં આવશે.
55૫૫. જન્નતી લોકો આજ ના દિવસે પોતાના કાર્યોમાં ખુશ છે.
56૫૬. તે અને તેમની પત્નીઓ છાંયડામાં આસનો પર તકિયા લગાવીને બેઠા હશે.
57૫૭. તેમના માટે જન્નતમાં દરેક પ્રકારના ફળો હશે, ઉપરાંત તેઓ જે પણ ઇચ્છશે, (તે બધું જ મળશે).
58૫૮. દયાળુ પાલનહાર તરફથી તેમને "સલામ" કહેવામાં આવશે.
59૫૯. હે અપરાધીઓ! આજે તમે અલગ થઇ જાવ.
60૬૦. હે બની આદમના! શું મેં તમારી પાસેથી વચન ન લીધું હતું? કે તમે શેતાનની બંદગી ન કરશો, તે તમારો ખુલ્લો શત્રુ છે.
61૬૧. અને મારી જ બંદગી કરજો, સત્ય માર્ગ આ જ છે.
62૬૨. શેતાને તમારા માંથી ઘણા લોકોને ગુમરાહ કરી ચુક્યો છે, શું તમે સમજતા નથી?
63૬૩. આ જ તે જહન્નમ છે, જેનું વચન તમને આપવામાં આવતુ હતું.
64૬૪. પોતાના ઇન્કારનો બદલો મેળવવા માટે આજે આમાં દાખલ થઇ જાવ.
65૬૫. આજના દિવસે અમે તેમના મોઢા ઉપર મહોર લગાવી દઇશું અને તેમના હાથ અમારી સાથે વાત-ચીત કરશે અને તેમના પગ સાક્ષી આપશે, તે કાર્યોની, જે તેઓ કરતા હતાં.
66૬૬. જો અમે ઇચ્છતા તો તેમને દૃષ્ટિહિન કરી દેતા, પછી આ લોકો માર્ગ મેળવવા માટે ભાગદોડ કરતા, પરંતુ તે લોકો કેવી રીતે જોઇ શકે?
67૬૭. અને જો અમે ઇચ્છતા તો તેમની જગ્યા પર જ તેમના મોઢા બદલી દેતા, પછી ન તો તેઓ ચાલી શકતા અને ન તો પાછા ફરી શકતા.
68૬૮. અને જેને અમે વૃદ્વાવસ્થાએ લઇ જઇએ છીએ, તેને બાળપણ તરફ પલટાવી દઇએ છીએ, શું તો પણ તેઓ વિચારતા નથી?
69૬૯. ન તો અમે તે પયગંબરને શાયરી (કવિતા) શિખવાડી અને ન તો તેમને તે શોભે છે, તે તો ફક્ત શિખામણ અને સ્પષ્ટ કુરઆન (ની આયતો) છે.
70૭૦. જેથી તેઓ, તે દરેક વ્યક્તિને સચેત કરી દે જે જીવિત છે અને ઇન્કાર કરનારાઓ માટે દલીલ સાબિત થઇ જાય.
71૭૧. શું તેઓ જોતા નથી કે અમે અમારા હાથ વડે બનાવેલી વસ્તુઓ માંથી તેમના માટે ઢોરોનું સર્જન કર્યું, જેના તેઓ માલિક થઇ ગયા છે.
72૭૨. અને અમે તે ઢોરોને તેમને આધિન કરી દીધા છે, જેમાંથી કેટલાક તેમની સવારી માટે છે અને કેટલાકનું તો માંસ ખાય છે.
73૭૩. તેઓને તેનાથી બીજા ઘણા ફાયદા મળે છે અને પ્રવાહી મળે છે અને પીવા માટેની વસ્તુઓ, શું તો (પણ) તેઓ આભાર વ્યક્ત નથી કરતા.
74૭૪. અને તેઓએ અલ્લાહને છોડીને અન્ય ને ઇલાહ બનાવી રાખ્યા છે. (આ આશાએ) કે જેથી તેઓની મદદ કરવામાં આવે.
75૭૫. (જો કે) તેઓમાં તેમની મદદ કરવાની શક્તિ જ નથી, (પરંતુ) તે લોકોમાં તેમની મદદ કરવાની શક્તિ જ નથી, પરતું તે તેમના માટે એક એવું (વિરોધી) લશ્કર બનશે, જેને કયામતના દિવસે તેમની સમક્ષ હાજર કરવામાં આવશે.
76૭૬. બસ! તમે તેમની વાતોથી નિરાશ ન થશો, અમે તેમની છૂપી અને જાહેર, દરેક વાતોને જાણીએ છીએ.
77૭૭. શું માનવીને એટલી પણ ખબર નથી કે અમે તેનું સર્જન એક ટીપા વડે કર્યું? પછી તરત જ તે ખુલ્લો ઝઘડો કરવાવાળો બની ગયો.
78૭૮. અને તેણે આપણા માટે ઉદાહરણ આપ્યું અને પોતાની જન્મને ભૂલી ગયો, કહેવા લાગ્યો, આ સડી ગયેલા હાડકાંઓને કોણ જીવિત કરી શકશે?
79૭૯. તમે તેમને જવાબ આપી દો કે આ હાડકાને તે જીવિત કરશે, જેણે તેમનું સર્જન પ્રથમ વાર કર્યું હતું, જે દરેક પ્રકારના સર્જનને ખૂબ સારી રીતે જાણે છે.
80૮૦. તે જ છે, જેણે તમારાં માટે લીલાંછમ વૃક્ષો માંથી આગ ઉત્પન્ન કરી, જેનાથી તમે તરત જ આગ સળગાવો છો.
81૮૧. શું જેણે આકાશો અને ધરતીનું સર્જન કર્યું, શું તે આ લોકો જેવાનું સર્જન નથી કરી શક્તો? નિ:શંક કરી શકે છે અને તે જ તો, પેદા કરવાવાળો અને જાણવાવાળો, સર્જક (અલ્લાહ) છે.
82૮૨. તે જ્યારે પણ કોઇ વસ્તુની ઇચ્છા કરે છે, તેને એટલું જ કહી દે છે કે, થઇ જા, તો તે, તે જ સમયે થઇ જાય છે.
83૮૩. બસ! પવિત્ર છે તે અલ્લાહ, જેના હાથમાં દરેક વસ્તુની સંપૂર્ણ સત્તા છે અને જેની તરફ તમે બધા પાછા ફેરવવામાં આવશો.